બ્રેકિંગ ન્યૂઝ

કૃષ્ણનગરમાં મોટાભાઈના ઝઘડામાં વચ્ચે પડતા નાનાભાઈની 3 લોકોએ છરી મારી હત્યા કરી: અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં કેવડાજીની ચાલીમા હત્યાનો બનાવ બન્યો, 23 વર્ષીય કુશ તોમરની 3 લોકોએ છરી મારી હત્યા કરી, કૃષ્ણનગર પોલીસે મર્ડરના આરોપીને પકડી પાડયા | JEE મેઈન્સનું પરિણામ જાહેર: ગુજરાતના બે વિદ્યાર્થીઓએ મેળવ્યા 100 ગુણ: દેશભરમાં 56 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવ્યા છે, ગુજરાતના બે વિદ્યાર્થી મિત પારેખ અને હર્ષલ કાનાણી 100 ગુણ સાથે રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યા, દેશભરમાંથી 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, JEE મેઈન્સમાં સારા ગુણ મેળવનાર વિદ્યાથીઓ JEE એડવાન્સની પરીક્ષા આપશે, IIT સહિતની સંસ્થાનોમાં પ્રવેશ માટે JEEની પરીક્ષા લેવાય છે | દિલ્હી લીકર પોલિસી કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની મુશકેલીઓમાં વધારો: દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડીના દિવસો વધાર્યા, કેજરીવાલને 7 મે સુધી જેલમાં રહેવું પડશે | સુરત લોકસભા બેઠક અંતે બિનહરીફ જાહેર: છેલ્લા બે દિવસથી ચર્ચાનું કેન્દ્ર બનેલી સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા બન્યા, આજે બપોર સુધીમાં બસપા સહિત, તમામ પ્રાદેશિક પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી | વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું: હવે તેઓ કોંગ્રેસને ખુલ્લો સપોર્ટ કરશે, ગઇકાલે મળેલી મિટિંગ બાદ નિર્ણય લેવાયો હોવાનું જણાવતાં મધુ શ્રીવાસ્તવ

જીંદાદીલ ઇન્સાન ખલીલ ધનતેજવીનું ૮૨ વર્ષે નિધન : વડોદરામાં કરવામાં આવી દફનવિધિ

ગુજરાતી અને ઉર્દુ ભાષાના જાણિતા કવિ, પત્રકાર, શાયર, દિગ્ગજ ગઝલકાર, એવોર્ડ વિનીંગ ગુજરાતી ફિલ્મના દિગ્દર્શક રહ્યા હતા ખલીલ

નવગુજરાત સમય

Apr 04, 2021 06:45 PM | UPDATED: Apr 05, 2021 03:22 PM

વાત મારી જેને સમજાતી નથી,
એ ગમે તે હોય ગુજરાતી નથી.
-ખલીલ ધનતેજવી

નવગુજરાત સમય, વડોદરા
ગુજરાતી સાહિત્યના ખૂબ જ લોકપ્રિય શાયર, પત્રકાર, નવલકથાકાર, ફિલ્મ લેખક, દિગ્દર્શક સહિતની અનેક ઓળખ સાથે જીંદાદીલ ઇન્સાન ખલીલ ધનતેજવીનું રવિવારે સવારે વડોદરા સ્થિત નિવાસસ્થાને નિધન થયું હતુ. શ્વાસ લેવાની તકલીફની બિમારીના સારવાર દરમિયાન તેમનું આજે ૮૨ વર્ષની જૈફ વયે નિધન થયુ હતુ. આજે બપોરે તેમના નિવાસસ્થાનેથી જનાજો નીકળ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બપોર બાદ તેમની તેમની દફનવિધિ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ ખલીલ ધનતેજવીના નિધનને પગલે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.
ખલીલ ધનતેજવીનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી નજીક આવેલા ધનતેજ ગામમાં ૧૨ ડિસેમ્બર ૧૯૩૮ના રોજ થયો હતો. જ્યાં તેઓએ ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. સાવલી તાલુકામાં આવેલા પોતાના વતન ધનતેજ ગામ પરથી તેઓએ પાછળથી અટક રાખી ધનતેજવી રાખી હતી. આમ તો તેમના દાદા તાજમહમદે તેમનું નામ ‘ખલીલ’પાડેલું હતું. ‘ખલીલ’નો અર્થ મિત્ર. તેમના પિતા ઈસ્માઈલ મૌલવી પાસે ગયા અને દાદાએ સૂચવેલું ‘ખલીલ’નામ કહ્યું. મૌલવી સાહેબને એકલું ખલીલ અધુરું લાગ્યું અને તેમણે ખલીલની આગળ ઈબ્રાહીમ જોડવાનું કહ્યું. એ પછી તેમનું નામ પડ્યું ઈબ્રાહીમ ખલીલ તરીકે ઓળખાયા હતા.
ખલીલ ધનતેજવીનું આખું જીવન ખુબ જ મુશ્કેલીઓ, પડકારો અને સંઘર્ષ વચ્ચે વીત્યું છે. તેઓ પાંચ વર્ષના હતા ત્યારે મહારાષ્ટ્રના નંદુરબાર ફોઈ-ફૂઆને ધંધામાં મદદ કરવા ગયેલા તેમના પિતાજીનું શીતળા નીકળતાં અવસાન થયું હતું. ત્યાર બાદ તેઓ ગઝલોની મનમાં જ રચના કરતા હતા.  એમને એ યાદ રહી જતી હતી જેના સહારે તેઓ ગઝલ મિત્રોને સંભળાવતા હતા. આ શક્તિ મોટી ઉંમરે મુશાયરાઓમાં પણ કાયમ રહી હતી. પહેલો ગઝલ સંગ્રહ બહાર પાડ્યો, ત્યારે સોથી વધારે ગઝલો લખી હતી. ઉર્દૂમાં પણ ઘણી ગઝલો લખી હતી. પ્રસિદ્ધ ગઝલ ગાયક જગજીતસિંહના કંઠે પણ તેમની ગઝલ ગવાઈ છે.
ચાર ચોપડી ભણેલા ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા હતા. તેમને ૨૦૦૪માં કલાપી પુરસ્કાર અને ૨૦૧૩3માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત ૨૦૧૯માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
ખલીલ ધનતેજવી ગુજરાતી ગઝલો પણ લખી છે. ગઝલ લેખન અને રજૂઆત બન્નેમાં તેમણે મહારથ હાંસલ કરી છે. તેઓ લેખક, સંપાદક અને તંત્રી રહી ચૂક્યા હતા. ફિલ્મો લખી હતી અને નિર્દેશિત પણ કરી હતી. તેમની વિવિધ કૃતિઓને અનેક એવોર્ડથી સન્માનિત કરાઈ હતી. કરોડો ચાહકોના હૃદયમાં તેમણે સ્થાન મેળવ્યું હતું. આ પુસ્તક તેમની જીવનકથા છે. તેમાં ખેતરના શેઢેથી ગઝલના શિખર સુધી અને ફિલ્મના પરદા સુધી પહોંચવાની રોમાંચક ગાથા છે.
મારું ના હોવું ખટકશે, કોક દિ' કહેશે કોઈ
આજ તો ધનતેજવી પણ આપણી વચ્ચે નથી.
-ખલીલ ધનતેજવી
હું તો પીપળો છું, ભીંત ફાડીને ઊગ્યો છું,
હું ક્યાં વળી કોઈના ક્યારે રોપાયો હતો..
-ખલીલ ધનતેજવી
अब मैं राशन की क़तारों मे नज़र आता हूँ
अपने खेतों से बिछड़ने की सज़ा पाता हूँ।
-खलील धनतेजवी
ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું?
તબિયત બબિયત પૂછી લેજો બીજું શું?
આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો,
વળતી ગાડી પકડી લેજો બીજું શું?
માફ કરો, અંગુઠો મારો નહિ આપું,
મારું માથું કાપી લેજો બીજું શું?
-ખલીલ ધનતેજવી
આત્મહત્યા નો ગુનો દાખલ થયો દિવા ઉપર,
ને પછી જાણ્યું હવા પોતે જ ફરિયાદી હતી. 
- ખલીલ ધનતેજવી
તમે મન મુકીને વરસો ઝાપટું આપણને નહીં ફાવે
અમ રહ્યા હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે
તમાચો ખાઇ લઇશ ગાંધીગીરીના નામ પર પણ
પત્નીને બા કહીને બોલાવવું આપણને નહીં ફાવે
-ખલીલ ધનતેજવી
જેટલી ફૂલોમાં રંગત છે બધી તમને મળે 
ફૂલની માફક મહેકતી જિન્દગી તમને મળે 
યાદ જયારે પણ તમે આવ્યા દુવા માગી છે મેં 
જે મારી કિસ્મતમાં છે એ પણ ખુશી તમને મળે 
એ રીતે મોસમ તમારુ ધ્યાન રાખે દર વખત 
કયાંય પણ કૂંપળ ફુટે ને તાજગી તમને મળે 
આપણે બંને પરસ્પર એવી ઇચ્છા રાખીએ 
દીવો મારા ઘરમાં સળગે રોશની તમને મળે 
 -ખલીલ ધનતેજવી

ખલીલ ધનતેજવીના ગઝલસંગ્રહ
-સાદગી
-સારાંશ (2008)
-સરોવર (2018)
ખલીલ ધનતેજવીની નવલકથા
-ડો. રેખા (1974)
-તરસ્યાં એકાંત (1980)
-મીણની આંગળીએ સૂરજ ઊગ્યો (1984)
-લીલા પાંદડે પાનખર (1986)
-સન્નાટાની ચીસ (1987)